બૉલીવુડ ની અભિનેત્રી દિશા પટણી ના બરેલી સ્થિત ઘરે અનેક રાઉન્ડ ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના સવારે 4:30 વાગ્યે બની હતી. જેમાં 2 રાઉન્ડ હવાઈ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે, આ ઘટનામાં કોઈને ગોળી વાગી હોવાના કોઈ સમાચાર નથી. આ ફાયરિંગની જવાબદારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લેવામાં આવી છે, જે અંગેની પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસ હાલમાં ફાયરિંગ કરનારા લોકોની શોધ કરી રહી છે. દિશા પટણી નો આખો પરિવાર, મોટી બહેન ખુશ્બુ પટણી અને માતા-પિતા તેના બરેલીમાં આવેલા ઘરમાં રહે છે. ખુશ્બુ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, પરંતુ તેણે હજુ સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે, તેના ઘરે કોણે ફાયરિંગ કર્યું તેની માહિતી સોશિયલ મીડિયા દ્વારા સામે આવી છે.
દિશા પટણી ના ઘરે ફાયરિંગની જવાબદારી વીરેન્દ્ર ચરણ ગેંગ દ્વારા લેવામાં આવી છે. તેણે પોતે આ ફાયરિંગની જવાબદારી લીધી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે કહ્યું છે કે, ‘જય શ્રી રામ, બધા ભાઈઓને રામ રામ. હું વીરેન્દ્ર ચરણ, મહેન્દ્ર સરન (ડેલાણા) છું. ભાઈઓ, આજે આપણે દિશા પટણીની બહેન ખુશ્બુ પટણી પર ગોળીબાર કરાવ્યો છે.’
વીડિયોમાં વધુમાં જણાવ્યું કે, ‘તેણે આપણા પૂજ્ય સંત પ્રેમાનંદ જી મહારાજ (Premanand Ji Maharaj) અને અનિરુદ્ધાચાર્ય જી મહારાજ (AniruddhaCharya ji Maharaj) નું અપમાન કર્યું હતું. તેણે આપણા સનાતન ધર્મને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આપણે આપણા પૂજ્ય દેવતાઓનું અપમાન સહન કરીશું નહીં. આ ફક્ત એક ટ્રેલર હતું. આગલી વખતે જો તે અથવા અન્ય કોઈ આપણા ધર્મ પ્રત્યે કોઈ અભદ્ર વર્તન કરશે, તો આપણે તેમના ઘરમાંથી કોઈને જીવતા નહીં છોડીએ.’

વીડિયોમાં વધુમાં જણાવ્યા અનુસાર, ‘આ સંદેશ ફક્ત તેમના માટે જ નહીં પરંતુ ફિલ્મ જગતના તમામ કલાકારો અને તેમની સાથે સંકળાયેલા લોકો માટે છે. જો ભવિષ્યમાં કોઈ આપણા ધર્મ અને સંતોને લગતું આવું અપમાનજનક કૃત્ય કરશે, તો પરિણામ ભોગવવા તૈયાર રહો. આપણે આપણા ધર્મનું રક્ષણ કરવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છીએ. આપણે ક્યારેય પાછળ હટીશું નહીં. આપણા માટે, ધર્મ અને સમગ્ર સમાજ હંમેશા એક છે, તેમનું રક્ષણ કરવું એ આપણી પ્રથમ ફરજ છે.’
દિશાની બહેન ખુશ્બુ ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી છે. થોડા મહિના પહેલા, જ્યારે અનિરુદ્ધાચાર્યે મહિલાઓ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, ત્યારે દિશાની બહેને સોશિયલ મીડિયા પર અનિરુદ્ધાચાર્યના શબ્દોની નિંદા કરતો એક વીડિયો જાહેર કર્યો હતો. દરમિયાન મહિલાઓ પર પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો પણ વાયરલ થયો હતો.
જે બાદ લોકો માનતા હતા કે, દિશાની બહેન ખુશ્બુએ પ્રેમાનંદ મહારાજ પર ટિપ્પણી કરી હતી. આ વિવાદ એટલો મોટો થઈ ગયો કે, અભિનેત્રીની બહેને આગળ આવીને સ્પષ્ટતા આપવી પડી. તેણીએ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી કે, તેણીએ પ્રેમાનંદ મહારાજ વિશે નહીં પણ અનિરુદ્ધાચાર્ય વિશે વાત કરી હતી.
ફિલ્મ ઉદ્યોગને ચેતવણી
પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે આ મેસેજ ફક્ત તેમના માટે જ નહીં પરંતુ ફિલ્મ ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા તમામ લોકો માટે પણ છે. અમે અમારા ધર્મની રક્ષણ કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકીએ છીએ. અમારા માટે ધર્મ અને આખો સમાજ હંમેશા એક છે અને તેમનું રક્ષણ કરવું એ આપણી પહેલી ફરજ છે.
નોંધનીય છે કે રોહિત ગોદારા અને ગોલ્ડી બરારે દિશાના ઘરે થયેલા ગોળીબારની જવાબદારી લીધી છે. જોકે, ગુજરાત સમાચાર આ વાતની પુષ્ટિ કરતું નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટના આધારે જ આ વાત કહેવામાં આવી રહી છે. આ બાબતે અભિનેત્રી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.